લોકસભા બેઠક પર 10 વખત કોંગ્રેસ અને 4 વખત ભાજપ જીત્યું હતું
સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબહેન પણ બે વખત ચૂંટાયા હતા
આ બેઠક પર 18 થી 19 વર્ષના 38,449 મતદારો નિર્ણાયક સાબિત થશે
આણંદ : ભારત ચૂંટણી પંચ દ્વારા ૧૮મી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ થનાર છે. જો કે લોકસભા ચૂંટણીમાં આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૭ ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં ૧૦ વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ૪ વખત ભારતીય જનતા પાર્ટી, ૧ વખત સ્વતંત્ર પક્ષ, ૧ વખત સંસ્થા કોંગ્રેસ અને ૧ વખત આઈએનસી પક્ષના ફાળે બેઠક ગઇ છે. જો કે ઈતિહાસ મુજબ જોવા જઈએ તો ૧૭ વખત યોજાયેલ લોકસભા ચૂંટણી મતદાન પૈકી વર્ષ ૧૯૬૭માં સૌથી વધુ ૭૬.૪૬ ટકા મતદાન જ્યારે સૌથી ઓછુ વર્ષ ૧૯૯૬માં માત્ર ૩૬.૫૩ ટકા મતદાન નોંધાયું હતું.
લોકસભાની ચૂંટણી આગામી તા.૭ મે, ૨૦૨૪ના રોજ યોજાશે. ત્યારે ૧૬-આણંદ લોકસભાનું રાજકારણ ગરમાયું છે. ચાલુ વર્ષે તા.૫ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં જિલ્લામાં કુલ ૧૭૬૮૮૫૧ મતદારો નોંધાયા છે. જે પૈકી ૯૦૩૪૦૨ પુરૂષ મતદારો, ૮૬૫૩૧૭ સ્ત્રી મતદારો જ્યારે ૧૩૨ ત્રીજી જાતિના મતદારો નોંધાયા છે. કુલ મતદારો પૈકી આણંદ જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા ૩૮૪૪૭ મતદારો, ૮૫ વર્ષથી વધુની વય ધરાવતા ૧૩૬૯૩ મતદારો તેમજ ૧૩૭૪૩ દિવ્યાંગ મતદારો નોંધાયા છે.
લોકસભાની ચૂંટણી અંતર્ગત જિલ્લાના ખંભાત વિધાનસભામાં ૨૩૮, બોરસદ વિધાનસભામાં ૨૬૪, આંકલાવ વિધાનસભામાં ૨૨૭, ઉમરેઠ વિધાનસભામાં ૨૮૩, આણંદ વિધાનસભામાં ૨૯૬, પેટલાદ વિધાનસભામાં ૨૩૪ અને સોજિત્રા વિધાનસભામાં ૨૩૧ મળી કુલ ૧૭૭૩ મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે.
લોકસભાની ચૂંટણી જાહેર થયા પૂર્વે જ ભાજપ દ્વારા ગત ટર્મના વિજેતા મિતેષભાઈ પટેલને રીપીટ કરાયા છે.
જો કે કોંગ્રેસ પક્ષ તરફથી આણંદ લોકસભા બેઠક માટે કોની પસંદગી કરવામાં આવશે તે અંગેની અટકળો જોરશોરથી ચાલી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતી ટ્વીટ કરતા હવે અન્ય ક્ષત્રિય ઉમેદવારો તરફ કોંગ્રેસ હાઈકમાન્ડની મીટ મંડાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વર્ષ-૨૦૧૪માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી સામે ભાજપના દિલીપભાઈ મણીભાઈ પટેલનો ૬૩૪૨૬ મતોની સરસાઈથી વિજય થયો હતો અને વર્ષ-૨૦૧૯માં પણ ભરતસિંહ સોલંકીનો ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલ સામે પરાજય થયો હતો ત્યારે હવે આ વખતે કોંગ્રેસ દ્વારા કયા ક્ષત્રિય ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે છે તે જોવુ રહ્યું !
1957 માં આણંદ બેઠક અસ્તિત્વમાં આવી હતી
લોકસભા ચૂંટણી ટાંણે આણંદ લોકસભા બેઠક ઉપર વર્ષ ૧૯૫૧થી વર્ષ ૨૦૧૪ સુધી યોજાયેલ ચૂંટણીમાં અનેક રસપ્રદ બાબતો જોવા મળે છે. ૧૯૫૧ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં ખેડા ઉત્તર અને ખેડા દક્ષિણ એમ બે બેઠકો હતી. વર્ષ ૧૯૫૭માં બીજી લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક અસ્તિત્વમાં આવી હતી અને ૧૯૫૭ની બીજી લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક ઉપર સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન વલ્લભભાઈ પટેલ ચૂંટાયા હતા. તેઓ અગાઉ વર્ષ ૧૯૫૧માં પ્રથમ લોકસભા બેઠક ઉપર ખેડા દક્ષિણમાંથી પણ ચૂંટાયા હતા.