અગાઉ બાકી રકમની વસૂલાત કરવા ઔડા દ્વારા ૧૯ કરોડથી વધુની પેનલ્ટી ફટકારી હતી
ઔડાના મકાનધારકોને બાકી હપ્તા ભરવા માટે વ્યાજ માફી સ્કીમ જાહેર કરવામાં આવી હતી.વ્યાજ માફી સ્કીમ હેઠળ ૧૮૪૪ મકાન ધારકોએ લાભ લીધો હતો.ઔડાને કુલ રુપિયા ૫.૯૪ કરોડથી વધુની આવક થવા પામી છે.અગાઉ બાકી રકમની વસૂલાત કરવા ઔડા દ્વારા ૧૯ કરોડથી વધુની પેનલ્ટી ફટકારાઈ હતી.બાદમાં સેટલમેન્ટ યોજના હેઠળ વ્યાજ માફી સ્કીમ લાવવામાં આવી હતી.જે મકાન ધારકોએ ૩૧ માર્ચ-૨૪ સુધીમાં બાકીના હપ્તાની રકમ ભરી નથી તેમને વ્યાજ સાથે રકમ ભરવી પડશે.
ઔડાની ૧૪ આવાસ યોજનામાં ૨૫૭૮ લાભાર્થી હતા.જે પૈકી ૧૮૪૪ મકાન ધારકોએ વ્યાજ માફી સ્કીમનો લાભ લીધો હતો.આ અગાઉ વિવિધ આવાસ યોજનાના મકાન ધારકોના રુપિયા આઠ કરોડથી વધુની રકમના હપ્તા ભરવાના બાકી હોવાથી ઔડા દ્વારા રુપિયા ૧૯ કરોડથી વધુની રકમની પેનલ્ટી કરવામા આવી હતી.જો કે બાદમાં સેટલમેન્ટ યોજના હેઠળ વ્યાજ માફી સ્કીમ અમલમાં મુકી બાકીના હપ્તા ભરવા માટે મકાન ધારકોને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ-૨૪ સુધીનો સમય મકાન ધારકોને આપવામાં આવ્યો હતો.વ્યાજ માફી સ્કીમ બાદ પણ જે મકાન ધારકોએ બાકીના હપ્તા ભર્યા નથી તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી એ અંગે લોકસભાની ચૂંટણી બાદ મળનારી ઔડાની બોર્ડ બેઠકમાં નિર્ણય કરાશે.