શહેરમાં ત્રણ દિવસ પૂર્વે બનેલ આગના બનાવ બાદ મહાપાલિકાએ લાલ આંખ કરી
બે દિવસમાં ૭૯ બિલ્ડીંગ ધારકને નોટિસ અપાઈ, વર્ક ઓર્ડર નહીં આપનાર બિલ્ડીંગને સીલ કરાશે
ભાવનગર: ભાવનગર શહેરમાં બનેલા આગના બનાવ બાદ મહાપાલિકાની ટીમે ફાયર સેફ્ટીના મામલે લાલ આંખ કરી છે અને છેલ્લા બે દિવસથી ફાયર સેફ્ટીના મામલે બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે ગુરૂવારે વધુ પર કોમર્શિયલ બિલ્ડીંગને ફાયર સેફ્ટીના મામલે નોટિસ આપવામાં આવી છે. ચાર દિવસમાં બિલ્ડીંગ ધારકો વર્ક ઓર્ડર નહીં આપે તો સીલ મારવામાં આવશે તેમ ફાયર વિભાગના સુત્રોએ જણાવેલ છે.
ભાવનગર શહેરના વોરાબજારમાં આવેલ હવેલીવાળી શેરીમાં આવેલ એક બિલ્ડીંગના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં(ગોડાઉનમાં) કોઇપણ જાતના ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરેલ ન હતા, જેના પગલે મહાપાલિકાના તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે અને ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવી બિલ્ડીંગોને નોટિસ આપવાની કામગીરી હાથ ધરી છે, જેમાં ગત બુધવારે વોરાબજારમાં આવેલ હવેલીવાળી શેરી વિસ્તારમાં ર૭ બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારી હતી, જયારે આજે ગુરૂવારે શહેરના ગામતળ (બજાર) વિસ્તારના વધુ પર કોમર્શિયલ બિલ્ડીંગને ફાયર સેફ્ટીના મામલે ફાયર વિભાગે નોટિસ ઇસ્યુ કરી હતી. મહાપાલિકાએ કોમર્શિયલ બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારતા ગભરાટ ફેલાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ-૨૦૧૩ સમગ્ર ગુજરાતમાં અમલમાં છે, જેથી ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પણ આ કાયદો લાગુ છે. આ કાયદાની કલમ-૧૮ ની જોગવાઇ મુજબ બિલ્ડીંગમાં અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષાના સાધનો વસાવવા માલિકો બંધાયેલા છે. આ જોગવાઇની અવગણના બદલ આ અધિનિયમની કલમ-૨૬ મુજબ તમારી જગ્યા ખાલી કરાવી અને જગ્યાનો વપરાશ બંધ (સીલ) કરાવવાની જોગવાઇ છે. ફાયર એન.ઓ.સી. લેવા અંગે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી તે ગંભીર બાબત હોઇ ઉક્ત મિલકતમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરી ફાયર વિભાગનું એન.ઓ.સી. દિન-૦૪ માં લેવાનુ રહેશે. વર્ક ઓર્ડર ચાર દિવસમાં નહીં આવે તો ફાયર વિભાગના દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ ફાયર વિભાગના અધિકારીએ જણાવેલ છે.