જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજભેરામાં બુધવારે (17 એપ્રિલ) સાંજે આતંકીઓએ બિન કાશ્મીરીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ શંકર શાહ તરીકે થઈ છે જે બિહારનો રહેવાસી હતો.
પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
અહેવાલો અનુસાર, અનંતનાગ જિલ્લાના બિજભેરામાં આતંકીઓએ ગોળીબાર કરીને આતંકીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતી. આ હુમલાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ શરૂ કરી છે. નોંધનીય છે કે, આ ઘટના અનંતનાગ લોકસભા મતવિસ્તારમાં બની હતી, જ્યાં સાતમી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ચૂંટણીને કારણે સુરક્ષા ઘણી સઘન કરવામાં આવી છે. તેમ છતાં આતંકીઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે.
10 દિવસમાં આ બીજી ઘટના
અગાઉ આઠમી એપ્રિલે આતંકીઓએ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના પડપાવનમાં બિન કાશ્મીરી પરમજીત સિંહને ગોળી મારી હતી. તે દિલ્હીનો રહેવાસી હતો. પરમજીત જ્યારે ડ્યુટી પર હતો ત્યારે આતંકીઓએ તેમના પર હુમલો કર્યો હતો.