- ભારતે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રને હરાવ્યું હતું
- વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે 9 વિકેટ ઝડપી હતી
IND vs ENG Test Series : ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલી સીરિઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડને 106 રને હરાવ્યું હતું. પ્રથમ ટેસ્ટ મેચમાં હાર્યા બાદ ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં શાનદાર વાપસી કરી અને સીરિઝ 1-1થી બરાબર કરી લીધી હતી. આ જીતથી ભારતીય ટીમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. રાજકોટમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્માની ટીમ આ જ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. ત્રીજી ટેસ્ટમાં ટીમ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે જેથી કરીને તે સીરિઝમાં લીડ મેળવી શકે. આવું થવા માટે ખેલાડીઓનું મેદાન પર સારું પ્રદર્શન કરવું જરૂરી છે પરંતુ સૌથી મહત્વની બાબત કેપ્ટન રોહિત શર્માનો નિર્ણય છે, જેને તેણે ત્રીજી ટેસ્ટ મેચમાં બદલવો પડશે.
બુમરાહે ઝડપી 9 વિકેટ
બંને ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો સૌથી અસરકારક બોલર જસપ્રીત બુમરાહ હતો, જેણે બીજી મેચમાં સૌથી વધુ 9 વિકેટ લીધી હતી. જો કે હંમેશની જેમ આ સીરિઝમાં સ્પિનરોના વર્ચસ્વની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ પ્રથમ બે ટેસ્ટ મેચોમાં આવું કઈં જોવા મળી શક્યું ન હતું. રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ હજુ સુધી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પોતાની જાદુઇ બોલિંગથી ફસાવી શક્યા નથી, પરંતુ ભવિષ્યમાં તેમની પાસેથી અપેક્ષાઓ રહેશે અને શક્ય છે કે તેઓ આ કારનામું કરશે. અસલી સમસ્યા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના પાર્ટનરની છે, જે ટીમ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે.
બીજી ટેસ્ટ મેચમાં મુકેશને બુમરાહના પાર્ટનર તરીકે કર્યો સામેલ
રોહિત શર્માએ પ્રથમ ટેસ્ટ મેચમાં બુમરાહના પાર્ટનર તરીકે મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન આપ્યું હતું. સિરાજે તે ટેસ્ટમાં બંને ઈનિંગ્સમાં માત્ર 11 ઓવર બોલિંગ કરી હતી અને 50 રન આપ્યા હતા. પરંતુ તે એકપણ વિકેટ મેળવી શકયો ન હતો. તેમ છતાં રોહિતે આગામી ટેસ્ટમાં બીજા ફાસ્ટ બોલરને તક આપી અને મુકેશ કુમારને ટીમમાં સામેલ કર્યો. મુકેશનું પ્રદર્શન પણ સિરાજથી અલગ ન હતું. તેણે બંને ઇનિંગ્સમાં 12 ઓવરમાં કુલ 70 રન આપ્યા અને માત્ર એક જ વિકેટ લીધી હતી.
સિરાજના ફેલ થાય બાદ બીજી ટેસ્ટમાં અન્ય ફાસ્ટ બોલરને સામેલ કરવાનો નિર્ણય આશ્ચર્યજનક
પ્રથમ ટેસ્ટમાં બે ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરવું સમજી શકાય તેવું છે કારણ કે રોહિતને તેના ત્રણ સ્પિનરો પર વધુ વિશ્વાસ હતો અને સિરાજ પણ ઘાતક બોલર છે. પરંતુ તેની નિષ્ફળતા છતાં આગામી ટેસ્ટમાં અન્ય ફાસ્ટ બોલર સાથે જવાનો નિર્ણય થોડો આશ્ચર્યજનક હતો. આ બે મેચ બાદ હવે આશા છે કે કેપ્ટન રોહિત શર્મા રાજકોટમાં આ ભૂલ નહીં કરે. જો કે ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ બીજી ટેસ્ટ માટે ટીમમાંથી સંકેતો લેતા ભારતીય ટીમ પાસે બીજા ફાસ્ટ બોલરની જગ્યા ભરવા માટે કેટલાક વધુ સારા વિકલ્પો છે.
ભારતીય ટીમ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે
ભારતીય ટીમ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે, જેમાં અશ્વિન, અક્ષર અને કુલદીપ યાદવને સપોર્ટ કરવા માટે વોશિંગ્ટન સુંદર અથવા સૌરભ કુમારને મેદાનમાં ઉતારી શકાય છે. કારણ કે બંને બેટિંગમાં પણ સારું યોગદાન આપી શકે છે અથવા ટીમમાં એક વધારાના બેટ્સમેનને સામેલ કરી શકે છે, જેમાં સરફરાઝ ખાન અથવા ધ્રુવ જુરેલને તક આપવામાં આવી શકે છે. આનાથી ભારતીય ટીમના નિષ્ફળ મિડલ ઓર્ડરમાં થોડી તાકાત વધી શકે છે અને વધારાના રનની શક્યતા વધી શકે છે.