વડતાલ પી.આઇ તેમના જન્મદિવસે જ સસ્પેન્ડ થયા..!
પીઆઇ આર.કે. પરમારની મોડાસા એલસીબીની ઓફીસમાંથી દારૂ પકડાયો હતો
નડિયાદ : ખેડા જિલ્લાના ૩ પી.આઈ.નો દારૂની મહેફીલનો વીડિયો સામે આવ્યા બાદ ત્રણેયને સસ્પેન્ડ કરાયા હતા. જેમાં વડતાલ પી.આઈ. તો પોતાના જન્મ દિવસે જ સસ્પેન્ડ થયા હોવાનું જાણવા મળ્યુ છે. તો આ સાથે જ અગાઉ તેમની કચેરીમાં દારૂ મળ્યાનું પ્રકરણ પણ ખૂબ ગાજ્યું હતુ. તેમજ તે વખતે તેમને વોન્ટેડ જાહેર કરાયા હતા અને સસ્પેન્ડ પણ કરાયા હતા. ત્યારે આ પ્રકારની તેમની કામગીરી હોવા છતાં પુનઃ ખેડા જિલ્લાના વડતાલ પોલીસ મથકમાં પીઆઇ તરીકે આવ્યા બાદ ફરી દારૂની મહેફીલમાં ઝડપાયા છે.
વડતાલ પોલીસ મથકના પી.આઈ. આર. કે. પરમારનો ગઈકાલે જન્મદિવસ હતો અને તે દિવસે જ તેમના સામે કાર્યવાહી થઈ છે. અગાઉ આર. કે. પરમાર અરવલ્લી જિલ્લાના એલસીબે પી.આઈ. હતા, તે વખતે એક દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ હતી, જેમાં ૨ કોન્સ્ટેબલો પાયલોટીંગ કરીને જતા હતા, તે વિગતો બહાર આવતા બંને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાયા હતા, પરંતુ આ ઘટનાના બે દિવસ બાદ જ તે વખતે એલસીબી પી.આઈ. આર. કે. પરમારની ઓફીસમાંથી આ ટ્રક પૈકીનો દારૂનો જથ્થો સંતાડાયેલો હોવાનું ખુલ્યુ હતુ. અને રેડ દરમિયાન સમગ્ર કાંડ બહાર આવ્યો હતો. તે વખતે પી.આઈ. આર. કે. પરમાર ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરાયા હતા અને બાદમાં તેમને સસ્પેન્ડ પણ કરાયા હતા. તેમના મોડાસાના બુટલેગરો સાથેના સબંધો ખુલ્લા પડી ગયા હતા. તેમજ તે વખતે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ તેમની સામે આવકથી વધારે સંપતિ મામલે તપાસ શરૂ કરાઈ હતી. જો કે, આટલી તપાસો અને આટલા મોટા કાંડ પછી પણ આર. કે. પરમારને વડતાલ પોલીસ મથકનો હવાલો સોંપાયો હતો અને આ દરમિયાન ફરી તેઓ દારૂની મહેફીલમાં ઝડપાયા છે.
જેથી સમગ્ર મામલે હજુ પણ તેમના પોતાના હદના બુટલેગરો સાથે મિત્રતા હોવાના અણસાર છે, ત્યારે આ વખતે તેમને માત્ર સસ્પેન્ડ કરી ટુંક સમયમાં અન્ય જિલ્લામાં બદલી આપી બચાવી લેવાશે કે પછી નક્કર કાર્યવાહી કરાશે, તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
હરપાલસિંહ ચૌહાણને ચરોતર ફળી ગયું હતું
નડિયાદ ટાઉન પી.આઈ. હરપાલસિંહ ચૌહાણ પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં ફરજ પર હતા. જ્યાંથી બદલી લઈ ચકલાસી ખાતે આવ્યા હતા. અહીંયાથી તેમની ચરોતરમાં એન્ટ્રી થઈ હતી. ચકલાસી બાદ તેમની બદલી ખેડા ટાઉન, ત્યારબાદ વિદ્યાનગરમાં થઈ હતી. વિદ્યાનગર બાદ તેમની બદલી રાજ્ય કક્ષાથી અમદાવાદ સીટીમાં કરાઈ હતી. જો કે, તે ઓડરનો અનાદર કરી બદલીના સ્થળે હાજર થયા ન હતા. તેમજ ચરોતરની નાણાંકીય હરીયાળી જોઈ પોતાની રાજકીય વગ વાપરી અમદાવાદ સીટીનો ઓર્ડર રદ્દ કરાવી નડિયાદ ટાઉનમાં બદલી કરાવી હતી અને ૨ એપ્રિલ, ૨૦૨૨ના રોજ પી.આઈ. તરીકે આવ્યા હતા.
ત્રણેય પીઆઇના હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડયા છે
નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર હરપાલસિંહ ચૌહાણ ૧ વર્ષ અને ૧૧ મહિના જેટલા સમયથી નડિયાદ ટાઉન પોલીસ મથકના પી.આઈ. છે. તેમની ફરજ દરમિયાન નડિયાદ ટાઉન વિસ્તારમાં અનેકવાર સ્ટેટ ટીમો દ્વારા જુગાર, દારૂ અને અન્ય બદીઓ પર દરોડા પાડયા છે. તો તે જ રીતે નડિયાદ પશ્ચિમ અને વડતાલ પોલીસ મથકના હદમાં વાય.આર. ચૌહાણ અને આર. કે. પરમારના કાર્યકાળ દરમિયાન અનેકવાર સ્ટેટ ટીમોએ સપાટો બોલાવ્યો છે. તેમ છતાં ત્રણેય અધિકારીઓને ક્યારે બદલી કરવામાં જિલ્લા પોલીસ વડાએ રસ દાખવ્યો ન હોવાનો આક્ષેપ ઉઠયો છે.