ગોલાણા વિશાખા નહેર સુધારણા સહિતની કામગીરીનો સમાવેશ
પરીએજ તળાવમાં સુધારણાના કામોથી વિવિધ તાલુકાના 101 ગામોના 4.45 લાખ લોકોને શુધ્ધ પાણી મળશે
નડિયાદ : જળ-સંપત્તિ, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ખેડા જિલ્લાના પરીએજ ખાતે ખેડા-આણંદ જિલ્લાના અંદાજિત ૩૮૫.૬ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં પરીએજ તળાવના ડિસીલ્ટીંગ અને રીમોડેલીંગની કામગીરી, લીંબાસી શાખા નહેરની સુધારણાની કામગીરી, ગોલાણા વિશાખા નહેર સુધારણાની કામગીરી વગેરેનો સમાવેશ થાય છે.
પરીએજ તળાવ માં ડિસીલ્ટીંગ, પાળ બાંધકામ અને ગાર્ડન નિર્માણ સહિતના બ્યુટીફિકેશનના કામોથી પીવાનું શુદ્ધ પાણી, સિંચાઈ અને પર્યટન સહિતની વ્યવસ્થાનો લોકોને લાભ મળશે. માતર તાલુકાના પરીએજ તળાવ ખાતેથી આ નહેર તથા તળાવ સુધારણા કામોનું લોકાર્પણ પૂર્ણ થતા ખેડા-આણંદ જિલ્લાના વિવિધ તાલુકાના કુલ મળીને ૧૦૧ ગામો અને ૧ શહેરની અંદાજિત ૪.૪૫ લાખની વસ્તીને પીવાનું શુધ્ધ પાણી મળી રહેશે. જેમા ઠાસરા, ગળતેશ્વર(ઉત્તર અને દક્ષિણ) જૂથ પાણી પુરવઠા પ્રોજેક્ટ હેઠળ ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના લાભાર્થી ગામોમાં વ્યક્તિ દિઠ દૈનિક ૧૦૦ લિટર પાણીનો લાભ મળશે. ઉપરાંત દક્ષિણ ઠાસરા – ગળતેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રૂ. ૮૧.૭૦ કરોડના કામો અને ઉત્તર ઠાસરા – ગળતેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રૂ.૭૬.૫૯ કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
મહી સિંચાઇ વર્તુળ તાબા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂ.૨૬૦ કરોડના ખર્ચે ૩૮૦ કિમી લંબાઈની નહેરોના નવીનીકરણની કામગીરી કરવામાં આવી છે. તથા હાલમાં રૂ.૩૫૮૫ લાખના કામો પ્રગતિ હેઠળ છે જેમાં ૮૨ કિમી લંબાઈની નહેરોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં નહેરો અને કાંસ ઉપર વિવિધ સ્થળોએ બ્રીજના નવીનીકરણ માટે રૂ. ૩૬૫ લાખના ખર્ચે ૨૫ બ્રીજના નવીનીકરણની કામગીરીના આયોજન પણ છે.