આગની આ ઘટના વલ્લભ ભવનના ગેટ નંબર 5 અને 6ની સામે જૂની બિલ્ડિંગમાં બની
આગને કારણે સરકારી દસ્તાવેજોને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલા મંત્રાલય ભવન જેને વલ્લભ ભવન પણ કહેવાય છે ત્યાં વહેલી સવારે આજે ચોથા માળે આગ લાગી ગઇ હતી. આગની આ ઘટના વલ્લભ ભવનના ગેટ નંબર 5 અને 6ની સામે જૂની બિલ્ડિંગમાં બની હતી. જોકે આગને કારણે સરકારી દસ્તાવેજોને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે.
ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે
માહિતી અનુસાર આગ ઓલવવા માટે ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આગ વધારે ઊંચાઈ પર લાગી હોવાથી આગ ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગ કેમ લાગી તેનું કારણ હજુ સામે આવ્યું નથી.
સદભાગ્યે રજા હોવાથી કોઈ કર્મચારી હાજર નહોતાં
માહિતી અનુસાર શનિવારે મંત્રાલયમાં રજા હોવાથી કોઈ કર્મચારી નહોતું જેના લીધે એક મોટી હોનારત થતા પણ બચી ગઇ હતી. ચારથી પાંચ ફાયરબ્રિગેડના વાહનો આગને ઓલવવા પ્રયાસો કરી રહ્યા છે. આગ એટલી ભીષણ હતી કે આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોઈ શકાતા હતા. હાલમાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે હાજર છે.