વર્ષ-૨૦૧૯માં આ રોડ માટે રુપિયા ૨૫ કરોડ મંજૂર કરાયા હતા,રોડ બનતા હજુ દસ મહિનાનો સમય થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીથી સોલા ક્રોસ રોડથી ભાડજ સર્કલ સુધી ચાર કીલોમીટરનો રોડ ચાર વર્ષ બાદ પણ પુરો બની શકયો નથી.વર્ષ-૨૦૧૯માં આ રોડ બનાવવા માટે રુપિયા ૨૫ કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો.૭ માર્ચના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં આ પ્રોજેકટની મુદતમાં વધુ દસ મહિનાનો સમય વધારી આપવામા આવ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રોડ બનાવવાને લઈ કરવામાં આવતા અણઘડ આયોજનનો આ વધુ એક નમુનો બહાર આવ્યો છે.
વર્ષ-૨૦૧૯માં કામ મંજૂર કરવામા આવ્યા બાદ વર્ષ-૨૦૨૦માં આ રોડ બનાવવા ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ હતુ.સોલા સાયન્સ સીટી રોડની કામગીરી શરુ કરાયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેકટના અધિકારીઓને બ્રહ્મજ્ઞાન લાધ્યુ કે,રોડની નીચે સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી તો કરવામાં જ આવી નથી.રાજયના મુખ્યમંત્રીએ રોડને લઈ કરેલી ટકોર બાદ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન પણ મ્યુનિ.ના અધિકારીઓને અવારનવાર ટકોર કરતા આવ્યા છે કે,કોઈપણ સ્થળે રોડ બનાવતા પહેલા તમામ પ્રકારની યુટીલીટી નંખાઈ ગઈ હોવાની ખાત્રી કરી લો. પરંતુ મ્યુનિ.રોડ પ્રોજેકટ અને ઈજનેર વિભાગના અધિકારીઓ મ્યુનિ.કમિશનરની સુચનાને પણ ગાંઠતા નથી.શુકન મોલથી સાલ હોસ્પિટલ સુધી ૩૨૦૦ ડાયામીટર,સપ્તક બંગલોઝથી સત્યમેવ એમીયન્સ સુધી જમણીબાજુએ ૯૦૦ ડાયામીટરની તથા ડાબી બાજુએ ૨૩૦૦ ડાયામીટરની સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજલાઈન નાંખવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.ચોમાસામાં રોડની કામગીરી બંધ કરવામાં આવી હતી.બાદમાં ફરી કામ શરુ કરવામાં આવ્યુ એ પહેલા સોલા સાયન્સ સીટી રોડ ઉપરના સર્કલની ડીઝાઈનમાં ફેરફાર કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વાંધો ઉઠાવવામા આવ્યો હતો.આટલુ ઓછુ હોય એમ હેતાર્થ સર્કલથી સાયન્સ સીટી તરફ જતા રોડ ઉપર હાઈટેન્શન વીજલાઈન આવતી હોવાથી એનો ખર્ચ કોણ ઉપાડશે એ વિવાદ ચાલ્યો હતો.યુજીવીસીએલ દ્વારા રુપિયા છ કરોડના ખર્ચે વીજલાઈન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી સપ્ટેમબર-૨૦૨૩ સુધી ચાલી હતી.ત્યારબાદ ફરી એકવખત રોડની ડીઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે ચાર વર્ષે પણ અધુરી રહેલી રોડની કામગીરીથી નાગરિકોને પડી રહેલી હાલાકીને લઈ રોડ પ્રોજેકટમાં આ અંગે કસૂરવાર અધિકારીઓ,કોન્ટ્રાકટર વગેરે સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.મ્યુનિ.તંત્રના અધિકારીઓની બેદરકારી શહેરીજનોને કેટલી કનડગત કરે છે એનો કામ મંજૂર કરનારા શાસકો પણ વિચારતા નથી.