ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પાર્ટીઓ એક પછી એક ઉમેદવારની યાદી જાહેર કરી રહી છે અને ભાજપે શુક્રવારે ઉમેદવારી ચોથી યાદી જાહેર કરી હતી, ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સામાચાર સામે આવી રહ્યા છે. જેમાં વડોદરાના લોકસભાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે રંજનબેનને ભાજપે ટિકિટ આપતા પક્ષમાં જ ભળકો થયો હતો અને કેટલાક પક્ષના જ નેતા નારાજ થયા હતા.
રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી
રંજનબેન ભટ્ટે આજે સોશિયલ મીડિયા એક્સ પર ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવતી પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે ‘હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.’ અગાઉ ભાજપે ઉમેદવારની યાદી જાહેર કરી હતી જેમાં વડોદરા લોકસભાની બેઠક પર ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટની નામની જાહેરાત થતા ની સાથે જ મહિલાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને વડોદરામાંથી વિરોધ થયો હતો.
જ્યોતિબેન પંડ્યાએ બળવો કર્યો હતો
ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ બળવો કર્યો હતો, જો કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડોદરાના ડૉ.જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી છ વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. નોંધનીય છે કે જ્યોતિબેન પંડ્યા વડોદરા શહેરના મેયર રહી ચૂક્યા છે અને તેઓ ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા હતા. તેમણે બળવો કરતા ભાજપે પક્ષના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદેથી હકાલપટ્ટી કરી દીધી હતી. હવે વડોદરામાં રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની ના પાડતા હવે ભાજપ અહીં નવા ઉમેદવારની પંસદગી કરશે.