ધરપકડ સામે અરજીની તાત્કાલિક સુનાવણીની માગ હાઇકોર્ટે ફગાવી
ઇડી છોડી મુકે તે બાદ સીબીઆઇ કેજરીવાલને સકંજામાં લેવાની તૈયારીમાં, કોર્ટમાં રિમાન્ડની માગ કરી શકે છે. દિલ્હી પોલીસના અધિકારી સામે કેજરીવાલની કોર્ટમાં ફરિયાદ, સીસીટીવી ફૂટેજને સુરક્ષિત રાખવા આદેશ. એવી કોઇ જેલ નથી બની જે મને લાંબો સમય સુધી કેદ રાખી શકે, ટૂંક સમયમાં હું બહાર આવીશ : કેજરીવાલ
કેન્દ્રીય એજન્સી ઇડી દ્વારા ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ધરપકડ સામે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી છે અને તેની તાત્કાલીક સુનાવણી કરવા માટે માગ કરી છે. કેજરીવાલે દાવો કર્યો છે કે મારી ધરપકડ સંપૂર્ણપણે ગેરકાયદે છે. જોકે દિલ્હી હાઇકોર્ટે અરજીની તાત્કાલીક સુનાવણી કરવાની ના પાડી દીધી હતી. તેથી હાલ કેજરીવાલને કોઇ જ રાહત આપવામાં નથી આવી. જ્યારે મની લોન્ડરિંગમાં ઇડી કાર્યવાહી કરી રહી છે ત્યારે હવે સીબીઆઇ પણ સક્રિય થઇ ગઇ છે. હાલ કેજરીવાલ ઇડીના રિમાન્ટ પર છે જે પુરા થયા બાદ સીબીઆઇ પણ તેમને ભ્રષ્ટાચારના કેસમાં રિમાન્ડ પર લેવાની તૈયારીમાં છે. ટુંક સમયમાં સીબીઆઇ કેજરીવાલના રિમાન્ડ માટે કોર્ટમાં અરજી કરી શકે છે.
જ્યારે દિલ્હી સરકારમાં મંત્રી આતિષિએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીની દિલ્હી સ્થિત ઓફિસને ચારેય બાજુથી બંધ કરી દેવામાં આવી છે અને પક્ષના નેતાઓને પ્રવેશતા અટકાવાઇ રહ્યા છે. જોકે દિલ્હી પોલીસે આ દાવાને નકાર્યા હતા અને કહ્યું હતું કે અમે ઓફિસને સીલ નથી કરી. કેજરીવાલની ધરપકડને પગલે દિલ્હીનું રાજકારણ ગરમાઇ રહ્યું છે. દિલ્હીની એક્સાઇઝ નીતિના કથિત કૌભાંડને લઇને ઇડીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ કરી હતી અને તેમને આ સમગ્ર સ્કેમમંાં કિંગપિન એટલે કે મુખ્ય કર્તાધર્તા ગણાવ્યા હતા.
બીજી તરફ કેજરીવાલે શનિવારે એક સંદેશો જાહેર કરીને કહ્યું હતું કે મારા લોહીનું દરેક ટિપુ રાષ્ટ્રને અર્પણ છે. હું મારુ કામ જેલમાંથી અથવા બહારથી કરતો રહીશ. દિલ્હીના નાગરિકોને સંદેશો આપતા કેજરીવાલે કહ્યું હતું કે હું ટુંક સમયમાં જ જેલમાંથી બહાર આવી જઇશ. કોઇ એવી જેલ નથી કે જે તમારા ભાઇ કે પુત્રને લાંબો સમય સુધી કેદ રાખી શકે. બહાર આવીને મારા વચનોને પુરા કરીશ. એવુ ક્યારેય બન્યું નથી કે મે વચન આપ્યું હોય અને તેને પુરુ ના કર્યું હોય. કેજરીવાલનો આ સંદેશો તેમણે લેખીતમાં પોતાના પત્ની સુનિતા કેજરીવાલને મોકલ્યો હતો, સુનિતા કેજરીવાલે આ મેસેજ વાંચી સંભળાવ્યો હતો અને વીડિયો જાહેર કરીને લોકો સમક્ષ મુક્યો હતો. કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં ઇડીની ધરપકડ સામે જે અપીલ કરી છે તેની તાત્કાલીક સુનાવણી કરવાની દિલ્હી હાઇકોર્ટે ના પાડી દીધી હતી, જેને પગલે હવે હોળી પછી સુનાવણી કરવામાં આવી શકે છે. તેથી કેજરીવાલની હોળી ઇડીની કસ્ટડીમાં જ પુરી થઇ જશે.
દરમિયાન અરવિંદ કેજરીવાલે નીચલી કોર્ટમાં એક અપીલ કરી છે જેમાં માગણી કરી છે કે દિલ્હી પોલીસમાં એસીપી એકેસિંહે મારી સાથે ખરાબ વર્તન કર્યું છે, કોર્ટમાં રજુ કરવામાં આવ્યા તે સમયે આ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું જેના સીસીટીવી ફૂટેજ પણ છે. એવી પણ દલીલો કરવામાં આવી હતી કે આ અધિકારીએ મનીષ સિસોદિયાની સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું જેની સામે ફરિયાદ પણ કરવામાં આવી ચુકી છે. આ દલિલોની નોંધ લઇને કોર્ટે સીસીટીવી ફૂટેજને સુરક્ષી રાખવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલનો આરોપ સાચો હોય તો આ ફૂટેજ ચકાસ્યા બાદ દિલ્હી પોલીસના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.