બહેરામપુરાના ૩૦ એમ.એલ.ડી.ક્ષમતાના પ્લાન્ટમાંથી રોજ ૧૨ એમ.એલ.ડી.પ્રદૂષિત પાણી નદીમાં ઠલવાય છે
સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા છ મહિના અગાઉ બહેરામપુરા ખાતે ૩૦ મિલિયન લિટર પર ડે ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ કરવામાં આવ્યો હતો.૩૦ એમ.એલ.ડી.ક્ષમતાના પ્લાન્ટમાંથી દૈનિક ૧૨ એમ.એલ.ડી.પાણી ટ્રીટ કર્યા વગર નદીમાં છોડવામાં આવતુ હોવાથી પ્લાન્ટના ડેવલપર અને અમદાવાદ હેન્ડ પ્રિન્ટીંગ એસોશીએશનને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
બહેરામપુરા વિસ્તારમાં છ મહિના અગાઉ શરુ કરવામાં આવેલા પ્લાન્ટની નિષ્ફળતાને લઈ નારાજ મ્યુનિસિપલ કમિશનરે બે દિવસ અગાઉ આ અંગે જવાબદાર અધિકારીઓ સાથે મિટીંગ કરી હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.પ્લાન્ટ શરુ કરવામાં આવ્યો તે અગાઉ ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ અંદાજે ત્રણ હજાર જેટલા પ્રોસેસ હાઉસ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રે સીલ કર્યા હતા.બાદમાં પ્લાન્ટના લોકાર્પણ બાદ કોઈની રહેમનજર હેઠળ ખુલી ગયા છે.જે કારણથી ૩૦ એમ.એલ.ડી.ક્ષમતાના પ્લાન્ટમાં રોજ ૪૨ એમ.એલ.ડી.પ્રદૂષિત પાણીની આવક થાય છે.જેમાંથી ૧૨ એમ.એલ.ડી.પાણી સાબરમતી નદીમાં સીધુ બાયપાસ છોડવામાં આવી રહયુ છે.આધાતજનક બાબત એ છે કે,પ્લાન્ટમાં થોડા સમય અગાઉ એસીડીક પાણી આવતા પ્લાન્ટની સમગ્ર મશીનરી બગડી ગઈ હતી.અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામા આવેલા કેટલાક પ્રોસેસ હાઉસને ફરી સીલ કરવામાં આવ્યા છે.અંદાજે ૭૦ એકમને નોટિસ આપવામાં આવી છે.પ્લાન્ટના ડેવલપર ઉપરાંત અમદાવાદ હેન્ડ પ્રિન્ટીંગ એસોશિએસનને પણ મ્યુનિ.તંત્ર તરફથી નોટિસ આપવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.
૧૧૨ કરોડમાંથી મ્યુનિ.ને ૪૩ કરોડ જ મળ્યા છે
૩૦ એમ.એલ.ડી.ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રુપિયા ૧૧૨ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.મ્યુનિ.ને રાજય સરકારની રુપિયા ૫૭ કરોડની ગ્રાન્ટમાંથી રુપિયા ૪૩ કરોડ જ મળ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી રુપિયા ૪૮ કરોડ ગ્રાન્ટ ફાળવવામા આવનાર હતી જે હજુ મળી નથી.રાજય અને કેન્દ્ર સરકાર તરફથી ૭૮.૭૭ કરોડની ગ્રાન્ટ મળવાની બાકી હોવાછતાં આ પ્લાન્ટ મ્યુનિ.ભાજપના પદાધિકારી તથા અન્ય લોકોના દબાણ હેઠળ ઉતાવળે શરુ કરવામાં આવ્યો હોવાની મ્યુનિ.વર્તુળોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.