અગાઉ પણ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપીને પક્ષને રામ-રામ કર્યા છે
લોકસભા 2024ની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. અગાઉ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધા છે અને પક્ષને રામ-રામ કર્યા છે ત્યારે હવે દેશની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. ઓપી જિંદાલ જૂથના અધ્યક્ષ અને હરિયાણાના પૂર્વ મંત્રી સાવિત્રી જિંદાલે બુધવારે મોડી રાત્રે જાહેરાત કરીને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાની પુષ્ટિ કરી હતી.
એક્સ પર પોસ્ટ કરી રાજીનામાની પુષ્ટિ કરી
સાવિત્રી જિંદાલે બુધવારે સોશિયલ મીડિયા એક્સ (X) પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી હતી કે તેમણે તેમના પરિવારની સલાહ પર કોંગ્રેસની પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, ‘મેં ધારાસભ્ય તરીકે 10 વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મંત્રી તરીકે હરિયાણા રાજ્યની નિઃસ્વાર્થ સેવા કરી છે. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યી છું.’
સાવિત્રી જિંદાલની રાજકીય સફર
ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સન સાવિત્રી જિંદાલે 10 વર્ષ સુધી હિસાર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને હરિયાણા સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી છે. વર્ષ 2005માં એક વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અને જિંદાલ ગ્રુપના સ્થાપક ઓપી જિંદાલના મૃત્યુ પછી જિંદાલ હિસાર મતવિસ્તારમાંથી હરિયાણા વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેઓ 2009માં હિસારથી ફરીથી ચૂંટાઈ આવ્યા હતા અને ઓક્ટોબર 2013માં હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરાયા હતા. તેમણે 2006માં શહેરી સ્થાનિક સંસ્થાઓ અને આવાસ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું હતું, પરંતુ 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હિસારથી તેમને હારનો સામનો કરવો પડ્યો.