આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીની ધરપકડના વિરોધમાં ‘કેજરીવાલને આશીર્વાદ’ અભિયાન શરૂ કર્યું
દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી આમ આદમી પાર્ટી (AAP) એક્શન મોડમાં આવી ગઇ છે. કેજરીવાલ વતી હવે તેમની પત્ની સુનીતા કેજરીવાલ મોરચો સંભાળતા દેખાઈ રહ્યા છે. ફરી એકવાર તેમણે નવો વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી રહેલા નવા અભિયાન વિશે માહિતી આપી હતી.
‘કેજરીવાલને આશીર્વાદ’ અભિયાન શરુ કર્યું
સુનીતા કેજરીવાલે સૌને મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા કોર્ટમાં આપવામાં આવેલા નિવેદનને સાંભળવાની અપીલ કરી હતી અને તેની સાથે તેમણે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલા નવા અભિયાન કેજરીવાલને આશીર્વાદની માહિતી આપી હતી. લોકોને તેની સાથે જોડાવા અપીલ કરતાં તેમણે એક નવું વોટ્સએપ નંબર જાહેર કર્યું હતું. જેના પર લોકોને મેસેજ મોકલવા અપીલ કરી હતી.
કેજરીવાલના રિમાંડમાં વધારો થયો હતો
ઉલ્લેખનીય છે કે ગઇકાલે અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યૂ કોર્ટે ફરી એકવાર ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા. કેજરીવાલના રિમાંડમાં ચાર દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તેમના પર ઈડીએ 100 કરોડથી વધુના દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં મુખ્ય સુત્રધાર હોવાનો આરોપ મૂક્યો છે.