જહાજમાં ફસાયેલા 17 ભારતીયોને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે તેમના ઇઝરાયેલી સમકક્ષ ઇઝરાયેલ કાત્ઝ અને ઇરાનના સમકક્ષ હુસૈન અમીર-અબ્દુલ્લાયાન સાથે ટેલિફોન પર વાત કરી હતી અને બંને દેશો વચ્ચેની અશાંતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઈરાને શનિવારે ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો છોડીને હુમલો કર્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી.
નોંધનીય છે કે, દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલના શંકાસ્પદ હવાઈ હુમલામાં બે જનરલો સહિત ઈરાનના ‘રિવોલ્યુશનરી ગાર્ડ’ના સાત જવાનોના મોત થયાની ઘટનાના જવાબમાં ઈરાને શનિવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર સેંકડો ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું છે કે તેમણે હમણાં જ ઇઝરાયેલના વિદેશ મંત્રી ઇઝરાયેલ કાત્ઝ સાથે વાતચીત કરી છે. મેં ગઈકાલના વિકાસ પર મારી ચિંતા શેર કરી. વ્યાપક પ્રાદેશિક પરિસ્થિતિની ચર્ચા કરી. સંપર્કમાં રહેવા સંમત થયા.
તણાવ ઘટાડવાની અપીલ
ભારતે આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી અને તાત્કાલિક તણાવ ઘટાડવાની અપીલ કરી. ભારતે કહ્યું કે, આ ક્ષેત્રમાં તેના દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટને લઈને અત્યંત ચિંતિત છીએ. આ વિસ્તારની શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે. મંત્રાલય દ્વારા જ અહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે તાત્કાલિક તણાવ ઘટાડવા, સંયમ રાખવા, હિંસાથી દૂર રહેવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ.
જહાજમાં ફસાયેલા 17 ભારતીયોને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે, આ ક્ષેત્રમાં અમારા દૂતાવાસ ભારતીય સમુદાયના સંપર્કમાં છે. તે મહત્વનું છે કે વિસ્તારમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવામાં આવે. શનિવારના રોજ ઈરાનની સેનાએ હોર્મુઝની સ્ટ્રેટ નજીક ઈઝરાયેલ સાથે જોડાયેલા એક માલવાહક જહાજને કબજે કર્યું હતું. જહાજમાં 17 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. પોર્ટુગીઝ ફ્લેગ શિપ ‘MSC Aries’ પર સવાર ભારતીયોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ભારત ઈરાનના સંપર્કમાં છે. વિદેશ પ્રધાન જયશંકરે રવિવારે તેમના ઈરાનના સમકક્ષ હુસૈન અમીર-અબ્દુલ્લાયાન સાથે વાત કરી અને પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજમાં સવાર 17 ભારતીય નાગરિકોને મુક્ત કરવાની માંગ કરી. ફોન પર વાતચીત દરમિયાન જયશંકરે ઈરાન-ઈઝરાયેલ દુશ્મનાવટના સંદર્ભમાં વધતા તણાવને ટાળવા, સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યું હતું.
જયશંકરે શું કહ્યુ ?
જયશંકરે ‘X’ પર લખ્યું કે તેમણે આજે સાંજે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી. MSC Aries ના 17 ભારતીય ક્રૂ મેમ્બરની મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધતા તણાવને ટાળવા, સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સંપર્કમાં રહેવા સંમત થયા હતા. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલી સૈન્યએ કહ્યું કે, તેણે અને તેના સાથીઓએ ઈરાન દ્વારા છોડવામાં આવેલા 300 થી વધુ ડ્રોન અને મિસાઈલોને અટકાવ્યા અને તેનો નાશ કર્યો.