થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે Paytm પેમેન્ટ્સ બેંકના સ્વતંત્ર નિર્દેશક મંજુ અગ્રવાલે રાજીનામું આપી દીધું છે. એવામાં આજે પેટીએમએ એક્સ્ચેન્જ ફાઈલિંગમાં આ વિશે ખુલાસો કર્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો હતો, ત્યારબાદથી પેટીએમની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે Paytm પેમેન્ટ્સ બેંકના સ્વતંત્ર નિર્દેશક મંજુ અગ્રવાલે રાજીનામું આપી દીધું હતું.
એવામાં આજે પેટીએમએ આ વાતની પુષ્ટિ કરી છે. પેટીએમએ એક્સ્ચેન્જ ફાઈલિંગમાં આ વિશે ખુલાસો કર્યો છે. અહેવાલો અનુસાર પેટીએમએ કહ્યું છે કે મંજુ અગ્રવાલે વ્યક્તિગત કારણોસર Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડને 1 ફેબ્રુઆરીના રોજ રાજીનામું આપ્યું હતું જે 6 ફેબ્રુઆરીના રોજ બોર્ડે સ્વીકાર્યું હતું. અહેવાલ મુજબ, અગ્રવાલ મે 2021 થી બોર્ડમાં સેવા આપી રહ્યા હતા.
RBIની કાર્યવાહી બાદ મુશ્કેલી વધી
નોંધનીય છે કે 31 જાન્યુઆરીએ આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે 29 ફેબ્રુઆરી પછી, કોઈપણ ગ્રાહક ખાતામાં કોઈ જમા, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ-અપની મંજૂરી આપવામાં આવશે નહીં, પ્રીપેડ, વૉલેટ, ફાસ્ટેગ વગેરે આપવામાં આવશે નહીં. ત્યારથી Paytm એક પછી એક આંચકાઓનો સામનો કરી રહી છે અને તેના શેરમાં પણ વધ-ઘટ થઇ રહ્યા છે.
ગયા સપ્તાહની શરૂઆતમાં, કંપનીએ તેના ઈ-કોમર્સ બિઝનેસનું નામ પણ બદલી નાખ્યું હતું. Paytm ઈ-કોમર્સનું નામ બદલીને Pai પ્લેટફોર્મ રાખવામાં આવ્યું. આ સાથે કંપનીએ ઓનલાઈન રિટેલ બિઝનેસમાં પોતાનો હિસ્સો વધારવા માટે બિટસિલાનું અધિગ્રહણ કર્યું છે. વાસ્તવમાં RBIના નિર્ણય બાદ Paytmમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે.
માનવામાં આવે છે કે આવનારા સમયમાં આ કંપનીમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે. તાજેતરમાં જ એક સર્વેમાં એવું પણ સામે આવ્યું છે કે લોકો Paytm પરથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે. આ સર્વે અનુસાર, લગભગ 49 ટકા નાના દુકાનદારો હવે લોકોને Paytmને બદલે અન્ય એપ દ્વારા પેમેન્ટ કરવાનું કહી રહ્યા છે.