ઉદ્ઘાટન સમયે ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવાશે
વડાપ્રધાન 13-14મી તારીખે યુએઈની મુલાકાતે છે : BAPS દ્વારા નિર્મિત આ ભવ્ય અને વિશાળ મંદિરનાં ઉદ્ઘાટન સાથે પ. એશિયામાં નવો યુગ શરૂ થશે
યુએઈનાં અબુધાબીમાં સર્વ પ્રથમ હિન્દુ મંદિર રચાઈ ગયું છે. બીએપીએસ દ્વારા નિર્મિત આ મંદિર બેહદ વિરાટ અને ભવ્ય છે. ૧૪મી ફેબુ્રઆરીએ તેમાં પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. આ દિવસ વસંત પંચમીનો છે. માતા સરસ્વતીના પ્રાદુર્ભાવનો પ્રથમ દિવસ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ અને ૧૪મી તારીખે યુએઈની મુલાકાતે છે. તેઓ બુધવાર, ૧૪ ફેબુ્રઆરીના દિવસે આ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરશે. તે પછી ત્યાં ઉપસ્થિત ભારતીયોને સંબોધન કરશે. આ કાર્યક્રમનું નામ જ ‘અહવાન-મોદી’ છે. તેનો અર્થ છે ‘મોદીનું સ્વાગત’. જો કે આ કાર્યક્રમ પૂર્વે આજે યુએઈમાં ભાગ્યે જ થતી તેવી જોરદાર વર્ષા થઇ રહી છે. આમ છતાં ત્યાં વસતા ભારતીય વંશના લોકોના ઉત્સાહમાં કોઈ ઉણપ આવી નથી. તેઓનો ઉત્સાહ જોરદાર રહ્યો છે. મંગળવારે થયેલી ભારે વર્ષાને લીધે ટ્રાફિક જામ અને જલ-ભરાવ થઈ રહ્યો છે.
મિડીયા રિપોર્ટસ પ્રમાણે અબુ ધાબીના જાયદ સ્પોર્ટસ સિટી સ્ટેડીયમમાં આ કાર્યક્રમની તૈયારી થઈ રહી છે. કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારીનું કહેવું છે કે પહેલા તો ૮૦,૦૦૦ લોકો ઉપસ્થિત રહેવાના હતા પરંતુ વરસાદને લીધે ૩૫ હજાર જેટલો સમુદાય ઉપસ્થિત રહેશે તેમ માનવામાં આવે છે. આ કાર્યક્રમ માટે વિધિવત રજિસ્ટ્રેશન રાખ્યું હતું. ૬૦ હજાર લોકોએ રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. પરંતુ હવે ‘ભારતીય સંસ્કૃતિ’ના બહુરંગી કાર્યક્રમમાં ભાગ લેનારા સહિત ૩૫ થી ૪૦ હજાર લોકો હાજર રહેશે તેમ મનાય છે.
રિપોર્ટસ જણાવે છે કે ૫૦૦થી વધુ બસો કાર્યક્રમ દરમિયાન કાર્યરત રહેશે. જયારે ૧૦૦૦ જેટલા સ્વયંસેવકો સ્થળ ઉપર હાજર રહેશે.
ભારે વર્ષા, ગડગડાટ સાથે કરાં પણ પડવાની ઘટના આ સૂકા પ્રદેશમાં ભાગ્યે બને છે. છતાં બની હતી. સાથે વીજળી પણ પડી હતી. તેથી સરકારે સલામતી એલર્ટ જાહેર કર્યો છે તથા ગતિ મર્યાદા પણ વાહનો માટે જાહેર કરી છે.
યુએઈમાં આશરે ૩૫ લાખ ભારતીયો રહે છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ૭૦૦થી વધુ કલાકારોનું સાંસ્કૃતિક પ્રદર્શન છે, જે ભારતીય કલાઓને વિશાળ અને વૈવિધ્યસભર જીવંત નિરૂપણ કરશે. આ કાર્યક્રમ અંગે માત્ર યુએઈમાં જ નહીં, દુનિયાભરમાં વસતા ભારતીયો ભારે ઉત્સાહિત થઈ રહ્યા છે.
નિરીક્ષકો કહે છે, આ વિશાળ અને ભવ્ય મંદિરનાં ઉદ્ધાટન સાથે પશ્ચિમ એશિયામાં નવો યુગ શરૂ થશે.