ભારત-યુએઈ વચ્ચે મજબૂત આર્થિક સંબંધો, વડાપ્રધાન મોદીની 7મી મુલાકાત અનેક રીતે મહત્ત્વપૂર્ણ
પીએમ મોદીની પ્રથમ દિવસની મુલાકાત વખતે જ કુલ 8 કરારો થયા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા એક વર્ષમાં ત્રીજી વખત UAE પહોંચી ગયા છે. આ બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ ઘણા વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે. જેમાંથી કેટલાક પ્રવાસના પ્રથમ દિવસે જ સાઈન થઈ પણ ગયા હતા.
છેલ્લા 10 વર્ષમાં આ 7મી મુલાકાત
છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીની યુએઈની આ 7મી મુલાકાત હતી. ભારતે UAE સાથે ખૂબ જ મજબૂત સંબંધો વિકસાવ્યા છે. UAE ભારત માટે ખાસ કરીને આર્થિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં પીએમ નરેન્દ્ર મોદીની આ UAE મુલાકાત ઘણું મહત્વ ધરાવે છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એ દ્વિપક્ષીય રોકાણ કરાર અને પ્રાદેશિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે એક ફ્રેમવર્ક ડીલ સહિત આઠ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારતના વિદેશ મંત્રાલયે આપી માહિતી
ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર બંને નેતાઓએ આઠ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાંથી પ્રથમ દ્વિપક્ષીય રોકાણ કરાર છે. ભારત તરફથીજણાવાયું કે આ કરાર બંને દેશોમાં રોકાણને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભારતનો ચોથો સૌથી મોટો વિદેશી રોકાણકાર સંયુક્ત આરબ અમીરાત છે અને બંને દેશો વચ્ચે 2016 થી રોકાણ કરાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે. મે 2022 માં, UAE સાથે ભારતનો વ્યાપક આર્થિક કરાર અમલમાં આવ્યો હતો.
ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર
બંને પક્ષોએ “ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર પર ભારત અને યુએઈ વચ્ચે આંતર-સરકારી ફ્રેમવર્ક કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા જે પ્રાદેશિક જોડાણને આગળ વધારવામાં સહકારને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત, તેઓએ ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાના હેતુથી ઇલેક્ટ્રિકલ ઇન્ટરકનેક્શન અને વેપાર આધારિત એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા. બંને નેતાઓની વાતચીત દરમિયાન ઊર્જા ભાગીદારીને મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂકાયો હતો. આ ઉપરાંત ડિજિટલ પબ્લિક ઈન્ફ્રા, ફાઈનાન્સિયલ પેમેન્ટ સહિતના પાંચ કરાર કરવામાં આવ્યા હતા.
બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર
રોકાણ મંત્રી મોહમ્મદ હસન અલસુવૈદીએ ભારતીય વડા પ્રધાનની મુલાકાતના પ્રસંગે જણાવ્યું હતું કે એપ્રિલ 2022 થી માર્ચ 2023ના સમયગાળા દરમિયાન UAE અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપારનું પ્રમાણ 84.5 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. વર્ષ 2027 સુધીમાં તે વધીને 100 અબજ ડોલર થવાની ધારણા છે. ખાસ વાત એ છે કે UAE ભારતમાં સાતમું સૌથી મોટું રોકાણકાર છે. યુએઈના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝાયોદીના જણાવ્યા અનુસાર, 2022ના આંકડા અનુસાર, બંને દેશો વચ્ચે બિન-તેલ વેપાર 51.4 બિલિયન ડૉલરે પહોંચી ગયો હતો. , જે 2021ની સરખામણીમાં 15 ટકા અને 2019ની સરખામણીમાં 24% વધુ છે.