ગાંધીનગર મહેસુલ તંત્રની ઢીલી નીતિ
ગાંધીનગરમાં બે વર્ષથી વધુ સમયથી ૩૦ અને એક વર્ષથી ૧૯ કિસ્સાઓમાં તપાસ બાકી હોવાનું બહાર આવ્યું
રાજ્યમાં બોગસ ખેડૂત ખાતેદારો બનવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં બોગસ ખેડૂત ખાતેદારોએ બન્યાના ૯૪ કિસ્સા સામે આવ્યા છે પરંતુ હજુ સુધી આ મામલે તપાસ થઇ નથી. ૩૦ કિસ્સા તો બે વર્ષ અગાઉથી પડતર છે તો ૧૯ ફરિયાદો એક વર્ષ અગાઉ બહાર આવ્યા હતા. જો કે, પક્ષકારોને રૃબરૃ સાંભળી સુનાવણી કરવામાં આવી રહી છે.
હાલમાં જમીનોના ભાવ કુદકેને ભુસકે વધી રહ્યા છે ત્યારે ખેડૂત નહીં હોવા છતા ખેડૂત બનવા માટે ખાનગી વ્યક્તિઓ મથતા હોય છે અને લાખો રૃપિયાના વહિવટ આપીને ખેડૂત ખાતેદારો બની જતા હોય છે ત્યારે કોઇને કાઇ રીતે આ ગેરરીતી બહાર આવતી હોય છે અને આ સંદર્ભે ફરિયાદો પણ થાય છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી ખાનગી વ્યક્તિઓ બોગસ ખેડૂત ખાતેદારા બન્યા હોવાની ૯૪ જેટલી ફરિયાદો બહાર આવી છે પરંતુ આ કિસ્સામાં હજી તપાસ આગળ વધતી નથી. ત્યારે આ મામલો છેક વિધાનસભા સુધી પહોંચ્યો હતો અને આ અંગે પુછાયેલા પ્રશ્નની સામે મહેસુલ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, તા.૩૧મી ડિસેમ્બર,૨૦૨૩ની સ્થિતિએ ગાંધીનગર જિલ્લામાં ખોટીરીતે ખેડૂત ખાતેદાર બન્યા અંગેની કુલ ૯૪ ફરિયાદોની તપાસ પડતર છે.
જે પૈકી ૩૦ કિસ્સામાં બે વર્ષ કે તેથી વધુ સમયથી તપાસ પડતર છે જ્યારે ૧૯ કેસો એકથી બે વર્ષ સુધીના પેન્ડીંગ હોવાનું પણ તેમણે સ્વિકાર્યું હતું.
હાલ તપાસ ચાલી રહી હોવા અંગે તેમણે એ પણ જણાવ્યું હતું કે, સક્ષમ અધિકારી-તપાસ અધિકારી દ્વારા પક્ષકારોને રૃબરૃ બોલાવીને સુનાવણીનો દૌર ચાલી રહ્યો છે.