ટરેફેશન ટેકનોલોજીની મદદથી દૈનિક ૭૫ ટન કોલસો બનાવવાનુ આયોજન
અમદાવાદ મ્યુનિ.તંત્ર તરફથી ગ્યાસપુર ખાતે સ્ટીમ હાઉસ ઈન્ડિયા લી.ને દૈનિક ૩૦૦ ટન ઘન કચરામાંથી ૬૦૦ ટન વરાળ બનાવવા પાંચ એકર જગ્યા અપાશે.જેનો ઉપયોગ નારોલ સહિત અન્ય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઈન્ડસ્ટ્રીઝના બોઈલરમાં પરંપરાગત ફયુઅલના રીપ્લેસમેન્ટમાં કરવામાં આવશે.ઉપરાંત એન્વીજેનીક પ્રા.લી.ને ત્રણ એકર જગ્યા અપાશે.આ એજન્સી ટરેફેશન ટેકનોલોજીની મદદથી દૈનિક ૩૦૦ ટન ઘનકચરામાંથી કોલસો બનાવશે.જેનો ઉપયોગ પાવરપ્લાન્ટ,બોઈલર વગેરેમાં ફયુઅલ તરીકે કરાશે.
ઘન કચરામાંથી વરાળ બનાવવા માટે સ્ટીમ હાઉસ ઈન્ડિયા લી.દ્વારા રુપિયા ૭૦ કરોડનું રોકાણ કરવામાં આવશે.પચાસ ટકા કેપીટલ કોસ્ટ રુપિયા ૩૫ કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે.સ્ટીમ સપ્લાય માટે પાઈપલાઈન સહિત અન્ય વ્યવસ્થા એજન્સી કરશે.ફલાયએશનો ઉપયોગ ઈંટ બનાવવા માટે કરાશે.એજન્સી દ્વારા વેચાણ કરવામાં આવેલી પ્રોડકટના આધારે મહિને રુપિયા ૧૭.૭૫ લાખ મ્યુનિસિપલ કોર્પોરેશનને રોયલ્ટી ચૂકવાશે.દૈનિક ૩૦૦ ટન ઘન કચરામાંથી ૭૫ ટન કોલસો બનાવવા એન્વીજેનીક પ્રા.લી.અંદાજે રુપિયા ૮૦ કરોડનુ રોકાણ કરશે.મ્યુનિ.તંત્ર કેપીટલ કોસ્ટના પચાસ ટકા રુપિયા ૪૦ કરોડ આપશે.એજન્સી દ્વારા વેચાણના આધારે દર મહિને ૧૮ લાખ રુપિયા મ્યુનિ.તંત્રને રોયલ્ટી ચૂકવવામા આવશે.