અઠવાડીયા પૂર્વેની ઘટના બાદ મૃતકના મામાએ નખત્રાણા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી આગળ પેટ્રોલ પંપ પાસે ગત ૧૧ માર્ચના સાંજે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ભુજમાં મુજો ગામડો નામના ધાબામાં નોકરી કરતા બે પરપ્રાંતિય યુવકનું સારવાર દરમિયાન મોત થતાં કાર ચાલક વિરૂધ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.
મુળ નેપાળના હાલ ભુજ હોસ્પિટલ રોડ પર રહી કલર કામ કરતા રામસિંહ જહરસિંહ ભંડારીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માતનો બનાવ ગત ૧૧ માર્ચના સાડા ચાર વાગ્યાના અરસામાં દેશલપર ફાટકથી આગળ ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે બન્યો હતો. ફરિયાદીના ભાણેજ રોશન માનબહાદુર કુંવર તથા તેમની સાથે કામ કરતા નાનારામ ગુલરામ અંગારી બન્ને જણાઓ મોટર સાયકલથી દેશલપરથી આગળ જઇ રહ્યા હતા. ત્યારે પેટ્રોલ પંપ પાસે સામેથી આવતી કારના ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇક સવાર બન્ને યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે ભુજ બાદ અમદાવાદ રીફર કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક યુવાનનું ૧૨ માર્ચના તેમજ બીજા યુવાનનું ૧૪ માર્ચના મૃત્યુ થયું હતું. હતભાગીઓની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ કાર ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.