ચિલોડા નરોડા હાઇવે ઉપર વધુ એક અકસ્માત
મિત્ર સાથે ઉભા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના બનતા ટાયર નીચે આવી જતા સ્થળ ઉપર જ મોત થયું
ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર જેઠીપુરા બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર પરિચિત વ્યક્તિ સાથે ઉભેલા રતનપુરના રહીશના ક્રેઈનના ચાલકે અડફેટે દીધા હતા અને તે ક્રેઈનના ટાયર નીચે આવી જતા સ્થળ ઉપર જ તેમનું મોત થયું હતું. જે સંદર્ભે ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર સર્જાયેલા વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના કુડાસણ શુકન એક વસાહત માં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા ખાતે રહેતા નયન મહેશભાઈ વાઢેર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, શુક્રવારે સાંજના સમયે તેઓ ચિલોડા નરોડા હાઇવે ઉપર જેઠીપુરા પાસેથી પસાર થતા હતા તે દરમિયાન રતનપુર ગામના બળવંતસિંહ લક્ષ્મણસિંહ બિહોલા તેમને મળ્યા હતા. એટલે બંને જણા ઊભા રહીને સવસ રોડ ઉપર વાતો કરતા હતા આ દરમિયાન એક હાઇડ્રોલિક ક્રેઈન ત્યાંથી પસાર થઈ હતી અને તેના ચાલકે બળવંતસિંહને ટક્કર મારી હતી જ્યારે નયનભાઈને પણ ઈજાઓ પહોંચી હતી.
જો કે બળવંતસિંહ રોડ ઉપર પટકાયા હતા અને ક્રેઈનનું પાછળનું ટાયર તેમના માથા ઉપરથી ફરી વળ્યું હતું. જેના કારણે ગંભીર ઇજાઓને પગલે બળવંતસિંહનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જે અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને આ ઘટના અંગે ડભોડા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ દ્વારા હાલ અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.